ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી આણંદ જિલ્લાની મુલાકાતે

ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી આણંદ જિલ્લાની મુલાકાતે
********
‘એક પેડ મા કે નામ ૩.૦’ અંતર્ગત રાજ્યપાલશ્રીની વિશેષ ઉપસ્થિતિમાં આણંદ તાલુકાના સામરખા ખાતે યોજાયો વૃક્ષારોપણ કાર્યક્રમ
*******
ગ્રામજનો સાથે આત્મીય સંવાદ સાધી રાજ્યપાલશ્રીએ આપ્યો પર્યાવરણ સંરક્ષણનો પ્રેરક સંદેશ
*******
આણંદ :: આણંદ જિલ્લાની બે દિવસીય મુલાકાતે પધારેલા ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં આણંદ તાલુકાના સામરખા ગામના ચરા વિસ્તાર ખાતે ‘એક પેડ મા કે નામ ૩.૦’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આણંદ જિલ્લાના સામાજિક વનીકરણ વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યપાલશ્રીએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ જતનનો પ્રેરક સંદેશ આપ્યો હતો.
આ પ્રસંગે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ઉપસ્થિત ગ્રામજનો અને સ્થાનિક નાગરિકો સાથે આત્મીયતાપૂર્વક સંવાદ સાધ્યો હતો. તેમણે ઉપસ્થિત મહાનુભાવો, સામરખા ગામના સરપંચ અને ગ્રામજનોનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનું ‘એક પેડ મા કે નામ’ અભિયાન આવનારી પેઢીના સુરક્ષિત ભવિષ્ય અને પર્યાવરણના જતન માટેનું એક મહત્વપૂર્ણ પગલું છે. તેમણે વૃક્ષોને દેવતા સમાન ગણાવતા ઉમેર્યું હતું કે, વૃક્ષો આપણને અમૂલ્ય ઓક્સિજન આપીને જીવન બક્ષે છે અને પોતે કષ્ટ વેઠીને પણ અન્યોને સુખ આપે છે. વૃક્ષ વાવવું એ માત્ર શરૂઆત છે, પરંતુ તેને ત્રણ વર્ષ સુધી ઉછેરીને પૂર્ણપણે જીવંત રાખવું એ ખુબજ મહત્વપૂર્ણ કાર્ય છે. દરેક નાગરિકે બાળકના જન્મદિવસ કે મેરેજ એનિવર્સરી જેવા પ્રસંગોએ વૃક્ષારોપણ કરીને સંસ્કાર અને પુણ્યનું ભાથું બાંધવું જોઈએ.
રાજ્યપાલશ્રીએ સામરખા ગામના લોકોના ઉત્સાહ અને જાગરૂકતાની સરાહના કરતા ગ્રામજનો પાસે સ્વેચ્છાએ વૃક્ષારોપણ અને તેના જતન માટે સંકલ્પ લેવડાવ્યો હતો. તેમણે વનીકરણ વિભાગને વાવેલા છોડના યોગ્ય રક્ષણ અને જતન માટે સૂચના આપી હતી. આ ઉપરાંત, પોતાની મુલાકાતનો હેતુ સ્પષ્ટ કરતા તેમણે જણાવ્યું હતું કે, તેઓ રાત્રિ રોકાણ ગામની પ્રાથમિક શાળામાં કરશે, જ્યાં ગ્રામજનો સાથે રાત્રિ સભા યોજીને બાળકોના શિક્ષણ, વ્યસનમુક્તિ, પશુપાલન અને પ્રાકૃતિક ખેતી જેવા વિષયો અંગે સંવાદ સાધશે. સાથે જ, તેઓ વહેલી સવારે વિદ્યાર્થીઓ સાથે યોગ-પ્રાણાયામ કરશે અને પ્રાકૃતિક ખેતી કરતા સ્થાનિક ખેડૂતના ખેતરે જઈને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપશે તેમ વધુમાં રાજ્યપાલશ્રીએ ઉમેર્યું હતું.
PATVI GUJARATI NEWS C O રાજ યુસુફભાઈ