કરજણ નગરપાલિકા વિસ્તારમાં ભવ્ય “ત્રિરંગા યાત્રા” યોજાઈ

કરજણ નગરપાલિકા વિસ્તારમાં ભવ્ય “ત્રિરંગા યાત્રા” યોજાઈ
**************************
૨૦૦૦થી વધુ નગરજનો, બાળકો સહભાગી થયા
(વડોદરા, તા.૧૩ ઓગસ્ટ ૨૦૨૬, ગુરુવાર) સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના પુર્વે સમગ્ર રાજ્યમા ઉત્સાહપૂર્વક ભવ્ય ત્રિરંગા યાત્રાઓ યોજાઇ રહી છે. ત્યારે આજરોજ વડોદરા જિલ્લાના કરજણ નગરપાલિકા વિસ્તારમાં દેશભક્તિની લહેર જોવા મળી હતી. આ યાત્રામાં અંદાજીત ૨૦૦૦થી વધુ નગરજનો, બાળકો સહભાગી થતા સમગ્ર કરજણ નગરપાલિકા વિસ્તાર દેશભક્તિના રંગે રંગાયું હતું.
આ ત્રિરંગા યાત્રાનો પ્રારંભ કરજણ નવા બજાર સ્થિત બોડાદરા ચાર રસ્તા પાસે ડૉ. બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાથી થયો હતો. ત્યાંથી યાત્રા આગળ વધીને મહાત્મા ગાંધીજીની પ્રતિમાએ પહોંચી હતી, જ્યાં મહાનુભાવો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ યાત્રા મુખ્ય માર્ગો પરથી પસાર થઈને ભરત મુનિ હોલ ખાતે પહોંચી હતી, જ્યાં શિસ્તબદ્ધ રીતે રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીત સાથે યાત્રાની સફળ પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.
આ પ્રસંગે કરજણના ધારાસભ્યશ્રી અક્ષયભાઈ પટેલ, પ્રાંત અધિકારીશ્રી શિવમ બારિયા, કરજણ નગરપાલિકા પ્રમુખશ્રી ઇલાબા અટાલિયા, પોલીસકર્મીઓ તેમજ નગરપાલિકા અને તાલુકાના સ્થાનિક પદાધિકારીશ્રીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત તાલુકાની તમામ કચેરીઓના અધિકારી-કર્મચારીશ્રીઓ, નગરજનો,કોલેજના એન.એસ.એસ.ના વિદ્યાર્થીઓ અને શાળાના બાળકો વિવિધ વેશભુષામા અને હાથમાં રાષ્ટ્રધ્વજ ત્રિરંગો લઈને દેશભક્તિના નારા સાથે આગળ વધતા અંદાજિત ૨૦૦૦થી પણ વધુ લોકો આ યાત્રામાં જોડાયા હતા. જેના કારણે સમગ્ર રૂટ પર દેશપ્રેમનો માહોલ સર્જાયો હતો.
પાટવી ગુજરાતી ન્યૂઝ C O રાજ યુસુફભાઈ