પેટલાદમાં વરસાદી હોનારતના અસરગ્રસ્તોને નાણા રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલના હસ્તે સહાયના ચેક અર્પણ

પેટલાદમાં વરસાદી હોનારતના અસરગ્રસ્તોને નાણા રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલના હસ્તે સહાયના ચેક અર્પણ
***
પેટલાદના વિવિધ વિસ્તારોના કુલ ચાર અરજદારોને રૂપિયા 3.10 લાખની સહાયના ચેક સોંપવામાં આવ્યા
***
આણંદ, મંગળવાર:::: પેટલાદ નગરપાલિકા વિસ્તારમાં તાજેતરમાં પડેલા અતિભારે વરસાદને કારણે અનેક પરિવારોના મકાનોને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું. આ કુદરતી આપત્તિમાં અસરગ્રસ્ત થયેલા નાગરિકોને ત્વરિત મદદ પૂરી પાડવાના આશય સાથે નાણા રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલએ પ્રભાવિત પરિવારોની મુલાકાત લઈ તેઓને મકાન સહાય પેટે આર્થિક સહાયના ચેક અર્પણ કરી સરકાર તેમની પડખે હોવાનો વિશ્વાસ અપાવ્યો હતો.
આ સહાય વિતરણમાં પેટલાદના વિવિધ વિસ્તારોના કુલ ચાર અરજદારોને નિયમ મુજબની સહાયના ચેક સોંપવામાં આવ્યા હતા. જેમાં નારીયાપાડા વિસ્તારના કિરીટભાઈ નવનીતલાલ શાહને રૂ. ૬૫,૦૦૦ અને જવાહર શેરીમાં રહેતા ભગવાનદાસ સાંકળચંદ કંસારાને રૂ. ૬૫,૦૦૦, દેવકુવા ભાગોળ વિસ્તારના પૂજાભાઈ બાપુભાઈ તળપદા અને જયંતીભાઈ ડાહ્યાભાઈ તળપદાને સંયુક્ત રીતે રૂ. ૯૦,૦૦૦ તેમજ કલાલ પીપળ, કુંભારવાડા વિસ્તારના મોતીભાઈ રામભાઈના વારસદાર અશોકભાઈ જેઠાભાઈ જાદવને રૂ. ૯૦,૦૦૦ ની મકાન સહાયના ચેક એનાયત કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ગત તારીખ ૩૧/૦૭/૨૬ અને ૦૨/૦૮/૨૬ ના રોજ પડેલા અતિભારે વરસાદને કારણે પેટલાદ નગરપાલિકા વિસ્તારમાં રહેતા જે મકાનોને નુકસાન પહોંચ્યું હતું જેની વહીવટી તંત્ર દ્વારા ત્વરિત નોંધ લઈ કાર્યવાહી કરવામાં આવતા ટૂંક સમયમાં જ સહાયના ચેક જે તે અરજદારને આપવામાં આવ્યા છે.
આ સહાયના ચેક વિતરણ દરમિયાન પેટલાદના પ્રાંત અધિકારી શ્રી કિંજલ દેસાઈ, મામલતદાર શ્રી, નગરપાલિકાના પ્રમુખ શ્રી, ઉપપ્રમુખ શ્રી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને નગરપાલિકાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
પાટવી ગુજરાતી ન્યૂઝ C O રાજ યુસુફભાઈ