આંકલાવ નગરપાલિકાની બેદરકારીથી આંગણવાડી બહાર ગંદકીનું સામ્રાજ્ય, સ્થાનિકોમાં રોષ

આંકલાવ નગરપાલિકાની બેદરકારીથી આંગણવાડી બહાર ગંદકીનું સામ્રાજ્ય, સ્થાનિકોમાં રોષ
આંકલાવ: આંકલાવ નગરપાલિકાના વોર્ડ નંબર-4 સ્થિત માધવનગર કોલોની નજીક આવેલી આંગણવાડી બહાર લાંબા સમયથી ગંદકીના ઢગલા અને અસ્વચ્છતાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. આંગણવાડીમાં અભ્યાસ માટે આવતા નાના બાળકોના સ્વાસ્થ્ય સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે, છતાં નગરપાલિકા દ્વારા યોગ્ય સફાઈ કે જરૂરી કાર્યવાહી કરવામાં આવી નથી.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, આંગણવાડીમાં પૂરતી સુવિધાઓના અભાવે બાળકોને હોલમાં બેસાડી અભ્યાસ કરાવવાની ફરજ પડી રહી છે. બીજી તરફ આંગણવાડીની બહાર ફેલાયેલી ગંદકીના કારણે મચ્છર અને દુર્ગંધનો ઉપદ્રવ વધ્યો છે, જેના કારણે રોગચાળો ફેલાવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.
સ્થાનિકોનો પ્રશ્ન છે કે, શું નગરપાલિકા કોઈ રોગચાળો ફેલાય અથવા કોઈ દુર્ઘટના બને તેની રાહ જોઈ રહી છે? જો ગંદકીના કારણે આંગણવાડીના કોઈ બાળકના સ્વાસ્થ્યને નુકસાન પહોંચે તો તેની જવાબદારી કોણ લેશે?
સ્થાનિકોએ વોર્ડના કાઉન્સિલર અને નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ સામે પણ સવાલો ઉઠાવ્યા છે કે, શું તેઓને આ સમસ્યાની જાણ નથી કે પછી જાણ હોવા છતાં આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે?
રહેવાસીઓએ તાત્કાલિક ગંદકી દૂર કરવાની, નિયમિત સફાઈ શરૂ કરવાની તેમજ આંગણવાડીમાં જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની માંગ કરી છે. હવે જોવાનું રહ્યું કે આંકલાવ નગરપાલિકા લોકોની ફરિયાદને ગંભીરતાથી લઈને ઝડપી કાર્યવાહી કરે છે કે પછી ફરી એકવાર માત્ર વચનો સુધી જ સીમિત રહે છે.