આણંદ જિલ્લામાં ભારે વરસાદ બાદ રોગચાળાને નાથવા આરોગ્ય તંત્ર સજ્જ: સઘન અટકાયતી કામગીરી શરૂ

આણંદ જિલ્લામાં ભારે વરસાદ બાદ રોગચાળાને નાથવા આરોગ્ય તંત્ર સજ્જ: સઘન અટકાયતી કામગીરી શરૂ
***
પાણીજન્ય અને વાહકજન્ય રોગચાળા સામે આણંદ આરોગ્ય વિભાગનું મેગા અભિયાન; ૧.૪૨ લાખથી વધુ નાગરિકોનું આરોગ્ય સર્વેક્ષણ
***
વરસાદી માહોલમાં મલેરિયા અને ડેન્ગ્યુને ડામવા આરોગ્ય ટીમો મેદાને: આણંદ જિલ્લામાં વિવિધ વિસ્તારમાં મેડિકલ કેમ્પનું આયોજન
***
આણંદ, સોમવાર:::: આણંદ જિલ્લામાં તાજેતરમાં થયેલા ભારે વરસાદને પગલે સંભવિત રોગચાળાને અટકાવવા માટે જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી ના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા વ્યાપક અને સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. વરસાદી પાણીના ભરાવાને કારણે પાણીજન્ય અને વાહકજન્ય રોગચાળો ન ફેલાય તે હેતુથી તમામ તાલુકા હેલ્થ ઓફિસરને તેમના કાર્યક્ષેત્રમાં સૂચનાઓ આપી અટકાયતી પગલાં લેવા જણાવવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ ખાસ કરીને મલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગો તેમજ ઝાડા-ઉલટી, કમળો અને ટાઈફોઈડ જેવા પાણીજન્ય રોગોના નિયંત્રણ પર મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીના જણાવ્યા મુજબ વાહકજન્ય રોગોના અટકાયત માટે આરોગ્ય ટીમો દ્વારા ઘરે-ઘરે જઈને સર્વે કરવામાં આવી રહ્યો છે. આ તપાસ દરમિયાન ઘરની અંદર અને આસપાસ ભરાયેલા પાણીના પાત્રો જેવા કે કુલર, ફ્રીજની ટ્રે, ટાયર અને કુંડાઓની ચકાસણી કરી પોરાનાશક (એન્ટી-લાર્વલ) કામગીરી કરવામાં આવી છે. મચ્છરોનો ઉપદ્રવ ઘટાડવા માટે નીચાણવાળા વિસ્તારોમાં ટેમિફોસના દ્રાવણનો છંટકાવ કરવાની સાથે થર્મલ ફોગિંગ અને સ્પ્રેઈંગની કામગીરી પણ વેગવંતી કરવામાં આવી છે.
પાટવી ગુજરાતી ન્યૂઝ C O રાજ યુસુફભાઈ