વડદલા PHC દ્વારા ભુરાકોઈ ગામમાં ચોમાસાજન્ય રોગો સામે સઘન જનજાગૃતિ અને ઘર-ઘર સર્વેક્ષણ હાથ ધરાયું

વડદલા PHC દ્વારા ભુરાકોઈ ગામમાં ચોમાસાજન્ય રોગો સામે સઘન જનજાગૃતિ અને ઘર-ઘર સર્વેક્ષણ હાથ ધરાયું
***
ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાને અટકાવવા આરોગ્ય ટીમ દ્વારા ગ્રામજનોને મચ્છરના પ્રજનન સ્થળો દૂર કરવા અપાયું માર્ગદર્શન
***
શુદ્ધ પીવાના પાણી અને સ્વચ્છતાના અમલીકરણ સાથે આરોગ્ય ટીમે PNC મુલાકાત દ્વારા માતૃ-બાળ સુરક્ષાની સમીક્ષા કરી
***
આણંદ, સોમવાર:::: આણંદ જિલ્લામાં ગત દિવસોમાં પડેલ ભારે વરસાદ બાદ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં રોગચાળો ફાટી ન નીકળે તે માટે જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી ના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લા પંચાયત ના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી દ્વારા વડદલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ આવતા ભુરાકોઈ ગામમાં ચોમાસાની ઋતુ દરમિયાન ફેલાતા વાહકજન્ય અને પાણીજન્ય રોગચાળાને નાથવા માટે આરોગ્ય વિભાગ દ્વારા એક સઘન જનજાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ સ્તરે ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા ગંભીર રોગોનો વ્યાપ ઘટાડવાનો અને લોકોને આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવાનો હતો. આરોગ્ય ટીમ દ્વારા સમગ્ર ગામમાં ફરીને રોગચાળા સામે રક્ષણ મેળવવા માટેની તકેદારીઓ અંગે ગ્રામજનોને વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી.
અભિયાનના ભાગરૂપે આરોગ્ય કર્મચારીઓ દ્વારા ગામમાં ઘર-ઘરની મુલાકાત લેવામાં આવી હતી, જેમાં ખાસ કરીને મચ્છરોના પ્રજનન સ્થળોની તપાસ કરવામાં આવી હતી. ઘરની આસપાસ કે અગાસી પર ભરાઈ રહેલા પાણીમાં મચ્છરો ઈંડા ન મૂકે તે માટે પાત્રો ખાલી કરવા અને મચ્છરના ઉત્પત્તિ સ્થાનોનો નાશ કરવા અંગે લોકોને પ્રેક્ટિકલ સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત, ગ્રામજનોને પોતાના ઘર અને મહોલ્લામાં સ્વચ્છતા જાળવવા, કચરાનો યોગ્ય નિકાલ કરવા અને ક્યાંય પણ બિનજરૂરી પાણી ભરાઈ ન રહે તે સુનિશ્ચિત કરવા માટે વિશેષ અનુરોધ કરવામાં આવ્યો હતો.
પાટવી ગુજરાતી ન્યૂઝ C O રાજ યુસુફભાઈ