નાર, બામણવા અને દેહવાણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ચોમાસામાં રોગચાળા સામે રક્ષણ અંતર્ગત જનજાગૃતિ ફેલાવવામાં આવી

સ.સં.૧૯
નાર, બામણવા અને દેહવાણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ચોમાસામાં રોગચાળા સામે રક્ષણ અંતર્ગત જનજાગૃતિ ફેલાવવામાં આવી
***
આરોગ્ય વિભાગ દ્વારા ‘સ્વસ્થ મજૂર – સ્વસ્થ ભારત’ ના સૂત્ર સાથે શ્રમિકો અને ગ્રામજનો માટે વિશેષ આરોગ્ય તપાસ કાર્યક્રમ યોજાયો
***
બોરસદ પંથકમાં આરોગ્ય ટીમો સજ્જ: ઘરે-ઘરે ક્લોરિનેશન અને મચ્છરના પોરાનાશક કામગીરી હાથ ધરવામાં આવી
***
ચોમાસામાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોથી બચવા માટે આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવા અપાયેલી સમજ
***
આણંદ, મંગળવાર:::: આણંદ જિલ્લામાં થયેલ ભારે વરસાદ બાદ સંભવિત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાને અટકાવવા માટે જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી ના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા ગામે ગામ લોકોની આરોગ્ય તપાસ, પોરાનાશક કામગીરી અને જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે.
આ કાર્યક્રમ અંતર્ગત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીની દેખરેખ હેઠળ બોરસદ તાલુકાના આરોગ્ય તંત્ર દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નારના મેડિકલ ઓફિસર ડૉ. મનીષ અને સુપરવાઈઝર જયેશ પટેલની આગેવાનીમાં નાર અને તેની આજુબાજુના ગામોમાં લોકજાગૃતિ અને રોગ નિવારણની વિવિધ પ્રવૃત્તિઓનો વેગ આપવામાં આવ્યો છે.
આરોગ્ય ટીમ દ્વારા દરેક ગામના ઘરે-ઘરે જઈને ક્લોરીનની ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું છે, જેથી નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે. આ ઉપરાંત, જન સમુદાયના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને પંચાયતની પાણીની ટાંકીઓમાં પણ ક્લોરિનિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય સુરક્ષાને સુદ્રઢ બનાવવાના હેતુથી આરોગ્ય વિભાગ દ્વારા પીવાના પાણીની લાઈનોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન જ્યાં પણ લિકેજ જોવા મળ્યા ત્યાં તાત્કાલિક અસરથી યુદ્ધના ધોરણે રીપેરિંગ કામગીરી કરવામાં આવી છે. ટીમ દ્વારા ગ્રામજનોને ચોમાસા દરમિયાન પાણી ઉકાળીને પીવા, બહારનો ખુલ્લો ખોરાક ન ખાવા અને હંમેશા ખોરાક ઢાંકીને રાખવા જેવી સાવચેતી રાખવા ખાસ આગ્રહ કરવામાં આવ્યો છે. મચ્છરોનો ઉપદ્રવ રોકવા માટે વરસાદી પાણી ભરાયેલા ખાડા-ખાબોચિયામાં ડાયફલૂ બેન્જ્યુરોન દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે અને અબેટ સોલ્યુશન દ્વારા પોરાનાશક કામગીરી પણ સઘન બનાવવામાં આવી છે.
પાટવી ગુજરાતી ન્યૂઝ C O રાજ યુસુફભાઈ