કરમસદ આણંદ મહાનગર પાલિકા દ્વારા મેલેરિયા અને ડેન્ગ્યુ નિયંત્રણ માટે સઘન અભિયાનનો પ્રારંભ

કરમસદ આણંદ મહાનગર પાલિકા દ્વારા મેલેરિયા અને ડેન્ગ્યુ નિયંત્રણ માટે સઘન અભિયાનનો પ્રારંભ
***
અર્બન હેલ્થ સેન્ટર બાકરોલ દ્વારા ‘મચ્છરમુક્ત ઘર અને સ્વસ્થ પરિવાર’ના સંકલ્પ સાથે જનજાગૃતિ કાર્યક્રમ
***
સગર્ભા માતાઓની આરોગ્ય સુરક્ષા અને મચ્છરજન્ય રોગો અટકાવવા તંત્રની વિશેષ ઝુંબેશ
***
આણંદ, બુધવાર:::: કરમસદ આણંદ મહાનગર પાલિકા સંચાલિત અર્બન હેલ્થ સેન્ટર બાકરોલ દ્વારા મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગોના અસરકારક નિયંત્રણ માટે સઘન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ‘સ્વચ્છ પર્યાવરણ, મચ્છરમુક્ત ઘર અને સ્વસ્થ પરિવાર’ના સૂત્ર સાથે આરોગ્ય વિભાગ દ્વારા લોકસંપર્ક વધારીને નાગરિકોને જાગૃત કરવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.
આ અભિયાન અંતર્ગત આરોગ્ય ટીમો દ્વારા સમગ્ર વિસ્તારમાં વિવિધ સર્વેક્ષણ અને નિવારક પગલાં લેવામાં આવી રહ્યા છે જેથી ચોમાસા દરમિયાન અને ત્યારબાદ ફેલાતા જીવલેણ રોગોથી જનતાને સુરક્ષિત રાખી શકાય.
મનપાના આરોગ્ય વિભાગની વિશેષ ટીમો દ્વારા દરેક વિસ્તારોમાં ઘરે-ઘરે મુલાકાત લઈને જનજાગૃતિ ફેલાવવાની સાથે મચ્છરોના ઉત્પત્તિ સ્થાનોની તપાસ કરવામાં આવી રહી છે. ખાસ કરીને ઘર વપરાશના સાધનો જેવા કે કુલર, ફ્રીજની ટ્રે, ફૂલદાની, પાણીના ડ્રમ અને ખુલ્લામાં રાખેલા વાસણોની ઝીણવટપૂર્વક ચકાસણી કરવામાં આવી રહી છે.
પાણીની ટાંકીઓમાં ક્લોરીનેશન કરવા ઉપરાંત લાવા નાશક દવાઓનો છંટકાવ કરીને મચ્છરોના સંવર્ધનને અટકાવવાની કામગીરી ગતિશીલ બનાવાઈ છે. નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ દર અઠવાડિયે એક દિવસ ‘ડ્રાય ડે’ તરીકે ઉજવે અને ઘરની આસપાસ ક્યાંય પણ પાણી ભરાવા ન દે.
આ સઘન અભિયાનમાં રોગ નિયંત્રણની સાથે સગર્ભા માતાઓના સ્વાસ્થ્યને પણ કેન્દ્રસ્થાને રાખવામાં આવ્યું છે. અર્બન હેલ્થ સેન્ટર દ્વારા સગર્ભા મહિલાઓ માટે નિયમિત ચેકઅપ, બ્લડ પ્રેશર અને હિમોગ્લોબિનની તપાસ, ટીટી રસીકરણ તેમજ આયર્ન અને ફોલિક એસિડની ગોળીઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આરોગ્ય કાર્યકરો દ્વારા માતાઓને પૌષ્ટિક આહાર અને સ્વચ્છતા જાળવવા અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવે છે જેથી શિશુ અને માતા બંને સ્વસ્થ રહે.
પાટવી ગુજરાતી ન્યૂઝ C O રાજ યુસુફભાઈ