આણંદના રાવળાપુરા ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં યોજાયો પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ

આણંદના રાવળાપુરા ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં યોજાયો પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ
**********
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી એ પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા ખેડૂતોને આપ્યું માર્ગદર્શન
**********
:: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી ::
“પ્રાકૃતિક ખેતી અપનાવી ધરતી માતાને બંજર થતી બચાવો”
“રાસાયણિક ખેતીના કારણે માતાના દૂધમાં પણ ઝેર ભળ્યું છે, હવે તો જાગો!”
“પ્રાકૃતિક ખેતીથી ખેત ઉત્પાદન, જમીનની ફળદ્રુપતા અને જળ સંચયમાં વધારો થાય છે”
***********
પોતાના પરિવારજનોના કલ્યાણ માટે પ્રાકૃતિક કૃષિ શરૂ કરવા ખેડૂતોને અનુરોધ કરતા રાજ્યપાલશ્રી
**********
આણંદ, મંગળવાર :: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આણંદ તાલુકાના સામરખા ગામે રાત્રિ રોકાણ બાદ સવારે નેશનલ હાઈવે નંબર ૮ પર આવેલ રાવળાપુરા સ્થિત રવિ કોલ્ડ સ્ટોરેજ ખાતે આયોજિત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શનમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા અર્થે ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું.
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ખેડૂતો સાથે સંવાદ સાધતા સ્પષ્ટ આહ્વાન કર્યું કે, રાસાયણિક ખાતરો અને દવાઓના ઉપયોગથી આપણી ધરતી માતા ઝેરી બની રહી છે. કેન્સર, હાર્ટ એટેક અને કિડની ફેલ થવા જેવા ગંભીર રોગોથી આવનારી પેઢીને બચાવવી હોય તો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા વિના કોઈ વિકલ્પ નથી. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનના સ્વપ્નને સાકાર કરવા રાજ્યપાલશ્રીએ ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં થઈ રહેલી રાસાયણિક ખેતી એ માત્ર વ્યવસાય નથી રહ્યો, પરંતુ એક મોટો ગુનો અને પાપ બની ગયો છે. આપણા પૂર્વજોએ વારસામાં ફળદ્રુપ જમીન આપી હતી, પરંતુ આપણે રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશકોનો આડેધડ ઉપયોગ કરીને ધરતીને પથ્થર જેવી બંજર બનાવી દીધી છે. જેથી પ્રાકૃતિક ખેતી અપનાવી ધરતી માતાને બંજર થતી બચાવવા આપણે સૌએ સહિયારા પ્રયત્નો કરવા જોઈએ.
રાજ્યપાલશ્રીએ એક સંશોધનનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, તાજેતરમાં માતાઓના દૂધના પરીક્ષણમાં ચોંકાવનારા પરિણામો સામે આવ્યા છે. માતાઓના દૂધમાં યૂરિયા અને જંતુનાશકોના અંશ જોવા મળ્યા છે. આ ઝેર ખેતરોમાં આપણે નાખેલા રાસાયણિક ખાતરોને કારણે અનાજ અને ફળો દ્વારા માનવ શરીરમાં પ્રવેશી રહ્યું છે, જેના કારણે ૧૦ વર્ષના બાળકો પણ કેન્સર અને ડાયાબિટીસ જેવી જીવલેણ બીમારીઓનો શિકાર બની રહ્યા છે.
પાટવી ગુજરાતી ન્યૂઝ C O રાજ યુસુફભાઈ