આણંદ જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે વન વિભાગની ત્વરિત કાર્યવાહી: રસ્તા પર નમી પડેલા ઝાડો હટાવી વાહનવ્યવહાર પૂર્વવત્ કરાયો

આણંદ જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે વન વિભાગની ત્વરિત કાર્યવાહી: રસ્તા પર નમી પડેલા ઝાડો હટાવી વાહનવ્યવહાર પૂર્વવત્ કરાયો
***
નાયબ વન સંરક્ષક સુરેશ મીણાના માર્ગદર્શન હેઠળ ૫૦ સભ્યોની ટીમે યુદ્ધના ધોરણે માર્ગો ખુલ્લા કર્યા
***
આણંદ જિલ્લામાં કુદરતી આફત વચ્ચે વન વિભાગ સજ્જ: છેલ્લા એક માસમાં ૪૭ જેટલા નમી પડેલા ઝાડ હટાવી રસ્તાઓ ત્વરિત ખુલ્લા કરાયા
***
આણંદ, મંગળવાર:::: આણંદ જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા અનરાધાર વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ભારે વરસાદના પરિણામે જિલ્લાના વિવિધ વિસ્તારો નાર પંડોળી રોડ ઉપર, નાપાnવાટા રોડ ઉપર, ડભોઉ સોજીત્રા રોડ ઉપર 06 જેટલા મોટા ઝાડ રસ્તા પર નમી પડવાની ઘટનાઓ બની હતી. આ અચાનક આવી પડેલી આફતને કારણે રસ્તાઓ બ્લોક થયા હતા અને વાહનચાલકોની અવરજવરમાં ભારે અવરોધ ઉભો થતા વન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે નમી પડેલા ઝાડ હટાવીને રસ્તા ખુલ્લા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ સમગ્ર કામગીરી આણંદના નાયબ વન સંરક્ષક શ્રી સુરેશ મીણાના સીધા માર્ગદર્શન હેઠળ અત્યંત આયોજનબદ્ધ રીતે કરવામાં આવી હતી. વન વિભાગની ટીમે સમય ગુમાવ્યા વિના ૫૦ જેટલા કર્મચારીઓના માનવબળ સાથે પ્રભાવિત સ્થળોએ પહોંચી ઝાડ હટાવવાની પ્રક્રિયા શરૂ કરી હતી. આ કામગીરી કરવામાં બે ટ્રાન્સપોર્ટ વાહનો અને ૧૮ જેટલા મજબૂત દોરડા જેવી સાધન-સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ટીમની કલાકોની જહેમત બાદ રસ્તા પર પડેલા ઝાડને સુરક્ષિત રીતે ખસેડી લેવામાં આવ્યા છે અને માર્ગોને વાહનવ્યવહાર માટે સંપૂર્ણ ખુલ્લા કરી દેવામાં આવ્યા છે.
વન વિભાગની આ કામગીરી માત્ર આ બે દિવસ પૂરતી મર્યાદિત નથી. છેલ્લા એક માસ દરમિયાન આણંદ જિલ્લામાં વિવિધ સ્થળોએ કુદરતી કારણોસર કે વરસાદને લીધે કુલ ૪૭ જેટલા ઝાડ નમી પડ્યા હતા અથવા તો ધરાશાયી થયા હતા. આ તમામ કિસ્સાઓમાં વન વિભાગની ટીમે ત્વરિત પ્રતિસાદ આપીને તમામ ઝાડ દૂર કર્યા છે અને રસ્તાઓ અવરજવર માટે ખુલ્લા કર્યા હતા.
પાટવી ગુજરાતી ન્યૂઝ C O રાજ યુસુફભાઈ