પેટલાદના જોગણ મુકામે નવનિર્મિત બસ સ્ટેન્ડનું નાણા રાજ્ય મંત્રી શ્રી કમલેશભાઈ પટેલના હસ્તે લોકાર્પણ

પેટલાદના જોગણ મુકામે નવનિર્મિત બસ સ્ટેન્ડનું નાણા રાજ્ય મંત્રી શ્રી કમલેશભાઈ પટેલના હસ્તે લોકાર્પણ
***
આણંદ, સોમવાર:::: આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના જોગણ મુકામે (જોગણ શાહપુર પાટિયા) ગ્રામજનોની સુવિધા અર્થે અંદાજિત રૂપિયા ૫ લાખના ખર્ચે તૈયાર થયેલા નવીન બસ સ્ટેન્ડનું લોકાર્પણ રાજ્યના નાણા રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલ તેમજ પૂજ્ય મહંત શ્રી મસ્ત બાલુરામજી મહારાજના વરદ હસ્તે શુભ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નાણા રાજ્યમંત્રીશ્રી કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવા અને ગ્રામીણ વિસ્તારોમાં વિવિધ વિકાસના કામો કરવા માટે પૂર્ણપણે સંકલ્પબદ્ધ છે. ગ્રામીણ ક્ષેત્રોમાં પાયાની સુવિધાઓનો વિસ્તાર કરવો એ સરકારની પ્રાથમિકતા છે. પ્રજાજનોની સુખાકારી અને ગામડાઓના સર્વાંગી વિકાસ માટે આગામી સમયમાં પણ જનહિતના કામો સતત ચાલુ રહેશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. આ નવીન બસ સ્ટેન્ડ કાર્યરત થવાથી જોગણ અને આસપાસના વિસ્તારોના મુસાફરો તથા વિદ્યાર્થીઓને બહેતર સુવિધા મળી છે જે રોજિંદા આવાગમનમાં ઉપયોગી થશે.
આ લોકાર્પણ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત કાર્યકારી પ્રમુખ શ્રી જીલુભા સિંધા, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન શ્રીમતી સંગીતાબેન, પેટલાદ તાલુકાના અગ્રણી શ્રી વિજયભાઈ ચાવડા, શ્રી અલ્પેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય શ્રી જગદીશભાઈ વણકર, તાલુકા પંચાયત સભ્ય શ્રી જીતુભાઇ પટેલ તથા શ્રી દિનેશભાઇ ઠાકોર, સરપંચશ્રી, પંચાયતના સભ્યો, જિલ્લા-તાલુકા પંચાયતના પ્રતિનિધિઓ અને ગ્રામજનો હાજર રહ્યા હતા.
પાટવી ગુજરાતી ન્યૂઝ C O રાજ યુસુફભાઈ