રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આણંદ તાલુકાના બોરિયાવી ગામના પ્રગતિશીલ ખેડૂત નરેશભાઈ સોલંકીના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી ***********

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આણંદ તાલુકાના બોરિયાવી ગામના પ્રગતિશીલ ખેડૂત નરેશભાઈ સોલંકીના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી
***********
રાજ્યપાલશ્રીએ સ્વયં ગાય દોહી, ખેડૂતોને જીવામૃત અને ઘન જીવામૃત બનાવવા અંગે આપ્યું માર્ગદર્શન
***********
રાજ્યપાલશ્રીએ ખેતરમાં જાતે હળ ચલાવ્યું; ખેડૂતોને આપ્યું માર્ગદર્શન
************
પ્રાકૃતિક ખેતી એ જ ધરા અને પર્યાવરણના રક્ષણનો શ્રેષ્ઠ વિકલ્પ : રાજ્યપાલશ્રી
************
આણંદ, મંગળવાર :: આણંદ જિલ્લાની બે દિવસીય મુલાકાત દરમિયાન રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ આણંદ તાલુકાના બોરિયાવી ગામના પ્રગતિશીલ ખેડૂત નરેશભાઈ સોમાભાઈ સોલંકીના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી હતી. અહીં તેમણે જાતે ગાય દોહી હતી અને હળ ચલાવ્યું હતું. તેમજ ખેતરની મુલાકાત લઈ ખેડૂતો સાથે સંવાદ સાધી માર્ગદશર્ન આપ્યું હતું.
રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત દરમિયાન ત્યાં ઉગાવવામાં આવેલ વિવિધ પાકોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું અને પાકોની ગુણવત્તા જોઈ સંતોષ વ્યક્ત કર્યો હતો. રાજ્યપાલશ્રીએ ખેડૂતોને જીવામૃત અને ઘન જીવામૃત બનાવવાની પ્રક્રિયા તથા તેના લાભો અંગે માર્ગદર્શન આપ્યું હતું.
આ તકે ખેડૂતો સાથે સંવાદ કરતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, પ્રકૃતિ અને ભગવાને જમીનની ફળદ્રુપતા માટે સ્વયં શ્રેષ્ઠ વ્યવસ્થા બનાવી છે. જંગલોમાં કોઈ જ રાસાયણિક ખાતરો નાખવા જવું પડતું નથી, તેમ છતાં ત્યાં વનસ્પતિ અને વૃક્ષો પૂર્ણપણે ખીલે છે. રાસાયણિક ખાતરો તથા કીટનાશકોના અંધાધૂંધ ઉપયોગથી જમીનમાં રહેલા ઉપયોગી અળસિયા અને સૂક્ષ્મ જીવાણુઓ નષ્ટ પામ્યા છે, જેના કારણે આજે ખેડૂતોને બહારથી નાઇટ્રોજન, પોટાશ અને ફોસ્ફરસ જેવા તત્ત્વો ઉમેરવા પડે છે. રાસાયણિક ખેતીથી જમીન કઠણ બની ગઈ છે, જ્યારે પ્રાકૃતિક ખેતીથી જમીન ફળદ્રુપ બને છે અને તેમાં કુદરતી વોટર હાર્વેસ્ટિંગ થવાથી વરસાદી પાણી સીધું જમીનમાં ઉતરી જાય છે. જો આપણે રાસાયણિક ખેતી ચાલુ રાખીશું તો આવનારી પેઢીઓ માટે ફળદ્રુપ જમીન કે પીવાનું શુદ્ધ પાણી પણ બચશે નહીં.
રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ઘટવાને બદલે વધે છે. જમીનનો ઓર્ગેનિક કાર્બન વધવાથી પાકનું ઉત્પાદન આપોઆપ વધે છે. પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ ઝીરો થઈ જાય છે. ગાય આધારિત આ ખેતીમાં ગૌમાતા દૂધ પણ આપે છે અને ખેતર માટે અમૂલ્ય ખાતર પણ પૂરૂં પાડે છે. ગુજરાતના અનેક ખેડૂતો પંચસ્તરીય મોડેલ અપનાવીને અત્યંત ઓછી મજૂરી અને ઓછા ખર્ચે વાર્ષિક લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે.
પાટવી ગુજરાતી ન્યૂઝ C O રાજ યુસુફભાઈ