ખંભાતના રોહિણી ગામે અકસ્માતમાં ઇજાગ્રસ્ત પશુ માટે આશીર્વાદરૂપ સાબિત થતી ૧૯૬૨ સેવા

ખંભાતના રોહિણી ગામે અકસ્માતમાં ઇજાગ્રસ્ત પશુ માટે આશીર્વાદરૂપ સાબિત થતી ૧૯૬૨ સેવા
***********
વેટરનરી ડૉક્ટર અને પાયલોટની સમયસૂચકતાથી અબોલ પશુને મળ્યુ જીવનદાન
***********
આણંદ, સોમવાર :: આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના રોહિણી ગામ ખાતે તા.૨૫ જુલાઈ ૨૦૨૬ના રોજ બપોરે ૨:૩૦ વાગ્યે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં એક પશુને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ આપત્તિના સમયે રાજ્ય સરકારના પશુપાલન વિભાગ અને GVK EMRI GREEN HEALTH SERVICES સંચાલિત ૧૯૬૨ ફરતા પશુ દવાખાનાની ટીમે ત્વરિત કામગીરી કરીને અબોલ પશુનો જીવ બચાવી લીધો હતો.
ઘટનાની જાણ થતાં જ ૧૯૬૨ ફરતા પશુ દવાખાનાની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી, જેમાં વેટરનરી ડૉ.કિશન પટેલ અને પાયલોટ-ડ્રેસર મેહુલભાઈ બારીયા દ્વારા ઇજાગ્રસ્ત પશુની સઘન શારીરિક તપાસ કરવામાં આવી હતી. આ ટીમના ડૉ.કિશન પટેલ દ્વારા સ્થળ પર જ પશુને જરૂરી ઈમરજન્સી સારવાર આપવામાં આવી હતી, જેમાં ઘાની સફાઈ, રક્તસ્ત્રાવ (બ્લીડિંગ) નિયંત્રણમાં લેવો, દુખાવો ઘટાડવાની દવાઓ તેમજ અન્ય જરૂરી તબીબી સારવાર આપવામાં આવી હતી. તેમની સાથે પાયલોટ-ડ્રેસર મેહુલભાઈ બારીયાએ પણ પોતાની ફરજ દરમિયાન ઉત્તમ સહયોગ પૂરો પાડ્યો હતો.
૧૯૬૨ ટીમની સમયસરની સચોટ સારવાર અને સેવાભાવનાને પરિણામે પશુની તબિયતમાં ઝડપથી સુધારો નોંધાયો હતો અને તેનો અમૂલ્ય જીવ બચાવી લેવામાં સફળતા મળી હતી. આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન ૧૯૬૨ ની ટીમે પશુઓ પ્રત્યેની કરુણા, માનવતા અને પોતાની ફરજ પ્રત્યેની નિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સ્થાનિક ગ્રામજનો અને પશુપાલકોએ રાજ્ય સરકાર અને GVK EMRI દ્વારા સંચાલિત ૧૯૬૨ ફરતા પશુ દવાખાનાની આ ઝડપી, નિઃશુલ્ક અને ગુણવત્તાસભર સેવાની સરાહના કરી હતી.
પાટવી ગુજરાતી ન્યૂઝ C O રાજ યુસુફભાઈ