પેટલાદ તાલુકાના જોગણ સીમવર્ગ પ્રાથમિક શાળાના રૂ. ૬૯.૮૦ લાખના ખર્ચે નવનિર્મિત ચાર વર્ગખંડોનું નાણા રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલના હસ્તે લોકાર્પણ

પેટલાદ તાલુકાના જોગણ સીમવર્ગ પ્રાથમિક શાળાના રૂ. ૬૯.૮૦ લાખના ખર્ચે નવનિર્મિત ચાર વર્ગખંડોનું નાણા રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલના હસ્તે લોકાર્પણ
***
સરકારની પ્રાથમિકતા રાજ્યના તમામ બાળકોને શ્રેષ્ઠ શૈક્ષણિક માળખું અને આધુનિક સુવિધાઓ પૂરી પાડવાની છે – મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ
***
આણંદ, સોમવાર:::: ગુજરાત સરકારના સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના જોગણ મુકામે આવેલી જોગણ સીમવર્ગ પ્રાથમિક શાળા ખાતે અંદાજિત રૂ. ૬૯.૮૦ લાખના ખર્ચે નવનિર્મિત ચાર વર્ગખંડોનું લોકાર્પણ કાર્યક્રમ નાણા રાજ્યકક્ષાના મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ તથા પૂ. મહંત શ્રી મસ્ત બાલુરામ મહારાજના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મંત્રીશ્રી કમલેશભાઈ પટેલએ શાળાના નવનિર્મિત સુવિધાજનક વર્ગખંડો વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મંત્રી શ્રીએ કહ્યું હતું કે, રાજ્ય સરકાર છેવાડાના માનવી સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ પહોંચાડવા અને રાજ્યના સર્વાંગી વિકાસ માટે પૂરી કટિબદ્ધતાથી કાર્ય કરી રહી છે. સરકારની પ્રાથમિકતા રાજ્યના તમામ બાળકોને શ્રેષ્ઠ શૈક્ષણિક માળખું અને આધુનિક સુવિધાઓ પૂરી પાડવાની છે.
મંત્રીશ્રીના હસ્તે શાળા માટે જમીન દાન આપનાર દાતા પરિવાર, આર.ઓ. પ્યુરિફાયર મશીનના દાતાશ્રીઓ તેમજ ગામના અન્ય સહયોગી દાતાઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
આ લોકાર્પણ સમારોહમાં જિલ્લા પંચાયત કારોબારી પ્રમુખ શ્રી જીલુભા સિંધા, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન સંગીતાબેન વાઘેલા, અગ્રણી શ્રી વિજયભાઈ ચાવડા, શ્રી અલ્પેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય શ્રી જગદીશભાઈ વણકર, તાલુકા પંચાયત સભ્ય શ્રી જીતુભાઇ પટેલ તથા શ્રી દિનેશભાઇ ઠાકોર, જોગણ ગામના સરપંચશ્રી, ગ્રામ પંચાયતના સભ્યો, દાતાશ્રીઓ, શિક્ષકો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
પાટવી ગુજરાતી ન્યૂઝ C O રાજ યુસુફભાઈ