પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે પોલીસ અને જનતા વચ્ચે સંવાદ મજબૂત બનાવવા હેતુસર શહેરા પોલીસ મથકે લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.
શહેરા પોલીસ મથકે લોકદરબાર યોજાયો
પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે પોલીસ અને જનતા વચ્ચે સંવાદ મજબૂત બનાવવા હેતુસર શહેરા પોલીસ મથકે લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા ડૉ. હરેશભાઈ દુધાત તેમજ નાયબ પોલીસ અધિક્ષક બ્રિન્દા જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. લોકદરબારમાં તાલુકાના વિવિધ ગામોના સરપંચો, આગેવાનો, વડીલો તથા મોટી સંખ્યામાં સ્થાનિક લોકો હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કાયદો વ્યવસ્થા જાળવવા અને શાંતિપૂર્ણ માહોલ જાળવવા અપીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત સાયબર ક્રાઇમ, પોસ્કો કાયદો, માર્ગ અકસ્માતોની ઘટનાઓ તેમજ સુરક્ષા વીમા કવચ યોજના અંગે લોકોને વિગતવાર માહિતી આપવામાં આવી હતી. ચૂંટણી દરમિયાન અફવાઓથી દૂર રહેવા અને નાની નાની બાબતોને લઈને વિવાદ ન વધે તે માટે ખાસ સૂચના આપવામાં આવી હતી. લગ્ન તથા અન્ય શુભ પ્રસંગોમાં ગ્રામ્ય વિસ્તારોમાં ડીજેનો અવાજ નક્કી મર્યાદા કરતાં વધુ ન રાખવા તેમજ શક્ય હોય ત્યાં સુધી ડીજેનો ઉપયોગ ટાળવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પોલીસ અધિકારીઓએ આચારસંહિતાનું પાલન કરવા તેમજ સમાજમાં રહેલા કુરિવાજો સામે જનજાગૃતિ ફેલાવવા લોકોને અપીલ કરી હતી. પોલીસ-જનતા સંવાદ દ્વારા કાયદો વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમમાં શહેરા પોલીસ મથકના પી.આઈ. એચ.વી. સીસરા (આહીર) સહિત પોલીસ સ્ટાફ પણ હાજર રહ્યો હતો.